લદાખને અમે માન્યતા નહી આપીએ, SCનો નિર્ણય થી ચિનનું સ્ટેડન્ડ નહી બદલાય ચિનના વિદેશ મંત્રીનું નિવેદન

By: nationgujarat
14 Dec, 2023

સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના સંસદના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાન અને હવે ચીને પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. ચીને બેશરમતાથી લદ્દાખ પર દાવો કર્યો છે. ચીને બુધવારે કહ્યું કે તે સુપ્રીમ કોર્ટના આદેશને સ્વીકારતું નથી, જેણે જમ્મુ અને કાશ્મીરના પુનર્ગઠનને મંજૂરી આપી હતી. આ સતત બીજી વખત છે જ્યારે ચીને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે. આ પહેલા ચીને કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ. ભારત અને પાકિસ્તાને સાથે બેસીને આ મુદ્દે વાત કરવી જોઈએ.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ચીનનું વલણ બદલાશે નહીં. ચીન હંમેશા માને છે કે ભારત-ચીન સરહદનો પશ્ચિમી ભાગ અમારો છે. માઓ નિંગે કહ્યું, ‘ચીને ક્યારેય ભારત દ્વારા એકતરફી અને ગેરકાયદેસર રીતે બનાવેલા કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને માન્યતા આપી નથી. ભારતીય કોર્ટના નિર્ણયથી અમારું વલણ બદલાશે નહીં કે ભારત અને ચીન વચ્ચેની સરહદનો પશ્ચિમ ભાગ અમારો છે. અગાઉ 2019માં જ્યારે કલમ 370 હટાવવામાં આવી ત્યારે ચીને આવી જ પ્રતિક્રિયા આપી હતી.

આ પહેલા મંગળવારે ચીનના પ્રવક્તાએ કાશ્મીર મુદ્દે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાને બેસીને શાંતિપૂર્ણ રીતે આ મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ. ચીનનું આ નિવેદન પણ ભેદી હતું કારણ કે ભારત જમ્મુ-કાશ્મીરને પોતાનો અભિન્ન અંગ માને છે અને તે આંતરિક મામલો છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનને આ મામલામાં પક્ષકાર તરીકે સ્વીકારવું એ રાજદ્વારી ભૂલ હશે. માઓ નિંગે કહ્યું હતું કે, ‘કાશ્મીરનો મુદ્દો લાંબા સમયથી પેન્ડિંગ છે. યુએન ચાર્ટર મુજબ શાંતિપૂર્ણ રીતે તેનું સમાધાન કરવાની જરૂર છે.

અગાઉ 2019માં ચીને કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરનું પુનર્ગઠન અને તેનો વિશેષ દરજ્જો ખતમ કરવાનો નિર્ણય ખોટો હતો. તે જ સમયે, ભારત સરકાર ચીન અને પાકિસ્તાનના સ્ટેન્ડને સંપૂર્ણપણે નકારી કાઢે છે. ગૃહ પ્રધાન અમિત શાહે ગૃહમાં ઘણી વખત કહી ચુક્યા છે કે અક્સાઈ ચીન, ગિલગિટ બાલ્ટિસ્તાન અને પીઓકે ભારતના છે. અમે તેમને પાછા લઈ ને રહીશું . કલમ 370 હટાવ્યા બાદ ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પણ આ મુદ્દે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સફળતા મળી ન હતી.


Related Posts

Load more